“મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪”
સાપુતારા ખાતે તા.૨૮ ઓગસ્ટ સુધી ચાલનારા “મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪” માં ૧૮ દિવસમાં ૧.૧૯ લાખ જેટલાં પ્રવાસીઓએ મુલાકાત લીધી.
સ્થાનિકોની રોજગારીને પ્રોત્સાહન આપવાના ઉદેશ્યથી ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા 'મેઘ મલ્હાર પર્વ'નું આયોજન
સાપુતારા સહિત ૧૭ જેટલાં ફરવા લાયક સ્થળોની મુલાકાત પ્રવાસીઓ લઇ શકે છે
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૭: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ “મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪” નું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ગત તા.૨૯ મી જુલાઈના રોજ ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪’નો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ ઉદ્ઘાટન સમારોહમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી અને ડાંગના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન સહિત પ્રવાસન નિગમના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક હોદ્દાદારો-અધિકારીઓ, નાગરિકો સહભાગી થયાં હતાં. આ મોન્સુન ફેસ્ટિવલની વલસાડ/ડાંગના સાંસદ-વ-લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલે પણ મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં વર્ષ ૨૦૦૯થી યોજાતા 'મોન્સૂન ફેસ્ટિવલ'ને લઈને સ્થાનિકોમાં અને સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ગત તા. ૨૯મી જુલાઇ ના રોજ યોજાયેલા ઉદ્ઘાટન સમારંભથી લઈને, તા.૧૬ મી ઓગસ્ટ-૨૦૨૪, એટલે આ ૧૮ દિવસોમાં અહી ૧ લાખ ૧૯ હજાર ૫૫૭ જેટલા પ્રવાસીઓએ હાજરી નોંધાવી “મેઘ મલ્હાર” પર્વનો આનંદ ઉઠાવ્યો છે.
“સાપુતારા મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪” ની મજા માણતા પ્રવાસીઓ, ડાંગની સ્થાનિક પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે પરિચય કેળવે, અને સ્થાનિક કલાકારોને પણ વધુ રોજગારી મળી રહે તે હેતુથી કાર્યક્રમના મુખ્ય ડોમ ખાતે, શુક્ર-શનિ-રવિની જાહેર રજાઓના દિવસે, તેમજ સાપુતારા મેઇન સર્કલ અને ગવર્નર હિલ ખાતે સાંજના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આગામી જન્માષ્ટમીના દિવસે અહી ખાસ દહીં-હાંડીનાં કાર્યક્રમનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ડાંગ જિલ્લામાં આવેલા ગિરિમથક સાપુતારા ખાતે હાલ આહલાદક મૌસમનો સમય ચાલી રહ્યો છે ત્યારે, અહી આવતા પ્રવાસીઓ બોટ હાઉસ ગ્રાઉન્ડ ખાતે બનાવેલ ડોમમાં વિવિધ સ્પર્ધાઓ અને મનોરંજક પ્રવૃત્તિઓની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અહી આર્ટ ગેલેરી અને મોન્સુન થીમ પર સજાવેલ કાર્યક્રમ સ્થળ ખાતે પ્રવાસીઓ વર્ચ્યુઅલ રીઆલિટી ટેકનોલોજી દ્વારા, ગુજરાતના અન્ય પ્રવાસન સ્થળોની ઝાંખી પણ કરી રહ્યા છે. ઉપરાંત પેપર ક્રાફ્ટ વર્કશોપ અને વરલી આર્ટસ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ વર્કશોપ અને ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યા છે.
મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ સાપુતારા હિલ સ્ટેશનને રાત્રિના સમયમાં રોશનીથી ઝળહળી ઉઠતાં જોઈ રોમાંચનો અનુભવ કરી રહ્યા છે. ઉપરાંત પ્રવાસીઓ સાપુતારાની આજુબાજુમાં ૧૭ જેટલા મુખ્ય જોવાલાયક સ્થળોની મજા પણ માણી રહ્યા છે. જેમાં ઇકો પોઇન્ટ, ગાંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, ગવર્નર હિલ, હાથગઢનો કિલ્લો, મધમાખી કેન્દ્ર, સંગ્રહાલય, નાગેશ્વર મહાદેવ મંદિર, પૂર્ણા અભયારણ્ય, રોઝ ગાર્ડન, સાપુતારા તળાવ, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને પ્રસિદ્ધ વાંસદા નેશનલ પાર્કનો સમાવેશ થાય છે.
ગુજરાતના ‘ચેરાપુંજી’ તરીકે ઓળખાતા સાપુતારામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ ૨૫૫ સે.મી જેટલો વરસાદ પડે છે. જેથી આ પ્રદેશમાં કુદરતી વનરાજી સોળે કળાએ ખીલી ઉઠે છે. જે રાજ્ય-રાજ્ય બહારના પ્રવાસીઓને વિશેષ રીતે આકર્ષિત કરે છે. ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા દરિયાની સપાટીથી લગભગ ૩,૦૦૦ ફૂટની ઉંચાઈએ આવેલું છે. ગુજરાત ટુરીઝમ દ્વારા સાપુતારાને આયોજિત હિલ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. આમ, સાપુતારા ફેસ્ટિવલમાં પ્રવાસીઓના આગમનના પરિણામે, ડાંગ અને તેના આસપાસના વિસ્તારોમાં રોજગારીની સાથે આવકના સ્ત્રોત વધ્યા છે, જેથી જીવન સ્તરમાં પણ સુધારો થઈ રહ્યો છે.
આમ, જો તમે પણ પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હો, તો સાપુતારાની મુલાકાત તમારે અચૂક લેવી જ રહી. સાપુતારાના મનમોહક દ્રશ્યો અને શાંત વાતાવરણ તમને યાદગાર અનુભવનું વચન આપે છે.
Gujarat InformationCMO GujaratVijaybhai PatelPMO India
Comments
Post a Comment